Dark Mode
Tuesday, 15 July 2025
Logo banner

રાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષી ઉમેદવાર યશવંત સિંહા સોમવારે ભરશે ફોર્મ: મોદી-રાજનાથનું સમર્થન માંગ્યું

રાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષી ઉમેદવાર યશવંત સિંહા સોમવારે ભરશે ફોર્મ: મોદી-રાજનાથનું સમર્થન માંગ્યું

અડવાણીના લીધાં આશીર્વાદ: ઝારખંડના મુખ્યમંત્રીને ફોન કરી સમર્થનનો ‘વાયદો’ કરાવ્યો યાદ

18 જૂલાઈએ યોજાનારી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કેન્દ્રમાં સત્તારૂઢ એનડીએ દ્વારા દ્રૌપદી મુર્મૂને ઉમેદવાર જાહેર કર્યા છે અને તેમણે વડાપ્રધાન મોદી સહિતના દિગ્ગજોની હાજરીમાં પોતાની ઉમેદવારી નોંધાવી છે. બીજી બાજુ યુપીએ દ્વારા વિપક્ષના સંયુક્ત ઉમેદવાર તરીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

જેઓ સોમવારે પોતાની ઉમેદવારી નોંધાવશે. યશવંત સિંહાએ ભાજપના ટોચના નેતા લાલકૃષ્ણ અડવાણી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષામંત્રી રાજનાથસિંહ પાસેથી પણ સમર્થન માંગ્યું છે. 84 વર્ષીય સિંહા અટલ બિહારી વાજપેયીની સરકારમાં કેન્દ્રીય નાણા અને વિદેશ મંત્રી રહી ચૂક્યા છે.

સિંહાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષામંત્રી રાજનાથ સિંહનો સંપર્ક સાધ્યો હતો. તેમણે બન્ને નેતાઓને પોતાની ઉમેદવારીનું સમર્થન કરવાનો આગ્રહ કર્યો હતો. તેમણે ભાજપના વયોવૃદ્ધ અને ટોચના નેતા લાલકૃષ્ણ અડવાણી પાસેથી પણ આશીર્વાદ માગ્યા હતા.

અટલ સરકારમાં અડવાણી નાયબ વડાપ્રધાન હતા અને એ જ સરકારમાં સિંહા કેન્દ્રીય મંત્રી રહ્યા હતા. લાંબા સમય સુધી ભાજપમાં રહ્યા બાદ તેમણે પક્ષ છોડી દીધો હતો. મોદી સરકાર-1માં તેમના પુત્ર જયંત સિંહા પણ નાણા મંત્રી રહ્યા હતા. જયંત સિંહા હજુ પણ ભાજપના સાંસદ છે પરંતુ તેમને મોદી સરકાર-2માં મંત્રી બનાવાયા નહોતા.

સિંહાએ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને પણ ફોન કર્યો હતો. સિંહાએ તેમને યાદ અપાવ્યું કે તેમની પાર્ટી ઝામુમોએ વિપક્ષના સંયુક્ત ઉમેદવારને સમર્થન આપવાનું એલાન કર્યું હતું. સિંહા ઝારખંડથી પ્રચાર શરૂ કરવાના હતા પરંતુ હવે ઝામુમોએ દ્રૌપદી મુર્મૂને સમર્થન જાહેર કરી દેતાં પ્રચારને ટાળી દીધો હતો. સિંહા હવે સોમવારે પોતાની ઉમેદવારી નોંધાવશે ત્યારે વિપક્ષના દિગ્ગજ નેતાઓ હાજર રહે તેવી શક્યતા છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!