Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

જીએસટીના પાંચ વર્ષમાં ગુજરાતમાં 2.75 લાખ પેઢીઓને લાગ્યા તાળા

જીએસટીના પાંચ વર્ષમાં ગુજરાતમાં 2.75 લાખ પેઢીઓને લાગ્યા તાળા

કરવેરાની ઝંઝટ, કોરોના કાળ, આર્થિક સ્લોડાઉન સહિતના કારણોએ ભાગ ભજવ્યો

વન નેશન, વન ટેક્સ અંતર્ગત જીએસટીનો અમલ થયાને પાંચ વર્ષ થઇ ગયા છે ત્યારે આ સમયગાળામાં ગુજરાતમાંથી 2.75 લાખ વેપાર-ધંધાની પેઢીઓને તાળા લાગ્યા હોવાનો રિપોર્ટ જારી થયો છે. ટેક્સની ઝંઝટથી માંડીને કોરોના કાળ જેવા કારણોએ ભાગ ભજવ્યો હતો. રાજ્ય જીએસટી વિભાગના રિપોર્ટ પ્રમાણે કોરોના કાળના બે વર્ષમાં 1.24 લાખ વેપારી પેઢીઓ બંધ થઇ હતી.

પાંચ વર્ષમાં કુલ 2.75 લાખ લોકોએ ધંધા સંકેલીને જીએસટી રજીસ્ટ્રેશન પરત આપી દીધા છે જે ગુજરાતના કુલ નોંધાયેલા વેપારીઓના 25 ટકા થવા જાય છે. રાજ્યમાં કુલ 11.1 લાખ જીએસટી કરદાતા છે. ઉદ્યોગ જગતના સુત્રોએ કહ્યું કે કોરોના કાળની અસર ઉપરાંત આર્થિક સ્લો-ડાઉન, કરવેરા વિભાગની ઝંઝટ જેવા કારણોથી લાખો વેપારી પેઢીઓ બંધ થઇ છે. કરવેરા વિભાગના સુત્રો જોકે વિરોધાભાસી દાવો કરી રહ્યા છે. તેમના કહેવા પ્રમાણે નવો ધંધો શરુ કરવાની ગણતરીએ સંખ્યાબંધ લોકોએ જીએસટી રજીસ્ટ્રેશન નંબર મેળવ્યા હતા પરંતુ ધંધામાં મેળ નહીં પડતાં રજીસ્ટ્રેશન પાછા સોંપી દીધા છે.

ધંધો શરુ નહીં થવાને કારણે જીએસટી રિટર્ન ભરતા ન હોવાનું સ્વાભાવિક છે એટલે તંત્ર દ્વારા પેનલ્ટી નોટીસ ફટકારવામાં આવે છે. આ સંજોગોમાં તેઓ રજીસ્ટ્રેશન પરત સોંપી દે છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સિનિયર વાઇસ પ્રેસીડેન્ટ પથિક પટવારીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં આર્થિક સ્લો ડાઉને પણ વેપાર-ધંધાને તાળા મારવામાં ભાગ ભજવ્યો છે.

જીએસટીથી અનેક કાયદાકીય જોગવાઈઓ લાગુ પડી છે. માસિક રિટર્ન ભરવાથી માંડીને ટેક્સ ચૂકવવાનું પણ ફરજીયાત છે. તેને કારણે મોટી મૂડી કે મોટો ધંધો નહીં ધરાવતાં નાના વેપારીઓ પેઢીને તાળા મારી દે છે. અથવા મોટી પેઢી સાથે ધંધો મર્જ કરી નાખે છે. રિટર્ન ફાઈલીંગની કડાકૂટમાં પડવાને પગલે એક જ પેઢી હસ્તક તમામ ધંધા રાખતા હોય છે.

છેલ્લા ત્રણ-ચાર વર્ષ દરમિયાન મોંઘવારી, આર્થિક સ્લોડાઉન, કોરોના કાળ, વૈશ્વીક ભૌગોલિક ટેન્શન અને ઘટતી ડીમાંડ જેવા કારણોથી વેપાર ધંધાને વ્યાપક અસર થઇ છે. ખાસ કરીને કોરોના કાળમાં નાના વેપારીઓ, રેસ્ટોરા, રિટેઇલ, ટ્રાવેલ અને હોટલના ધંધાને બહુ મોટી અસર થઇ હતી અને તેને કારણે રજીસ્ટ્રેશન પાછા સોંપવાના ઘટનાક્રમ સર્જાયા હતા. મુખ્યત્વે છેલ્લા ત્રણ વર્ષમાં જ મોટી સંખ્યામાં વેપાર ધંધાની પેઢીઓ બંધ થઇ હતી. 2018-19માં 30732 વેપારી પેઢીઓ બંધ થઇ હતી જે સંખ્યા 2020-21માં 63213 પર પહોંચી હતી. 2018-29માં 1.60 લાખ નવા રજીસ્ટ્રેશન થયા હતા જે 2020-21માં ઘટીને 1.39 લાખ થયા હતા.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!