Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી કરતાં દ્રૌપદી મુર્મૂ: મોદી-શાહ-રાજનાથની ઉપસ્થિતિ

રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી કરતાં દ્રૌપદી મુર્મૂ: મોદી-શાહ-રાજનાથની ઉપસ્થિતિ

હવે મુર્મૂ તમામ રાજ્યોનો પ્રવાસ કરી વિવિધ પક્ષો પાસેથી માંગશે સમર્થન

નવીદિલ્હી: રાષ્ટ્રપતિ પદ માટે એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ આજે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ-સહકાર મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા સહિત પક્ષના અનેક વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર થયા બાદ દિલ્હી પહોંચેલા મુર્મૂએ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ-સહકાર મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.

દ્રૌપદી મુર્મૂ વતી ઉમેદવારી પત્રના ચાર સેટ દાખલ કરવામાં આવ્યા હતા. એક સેટમાં 50 પ્રસ્તાવક હોય છે. ભાજપ-એનડીએના લગભગ તમામ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી પ્રસ્તાવક બન્યા છે. એનડીએમાં સામેલ પક્ષોના અમુક સાંસદો પણ મુર્મૂના પ્રસ્તાવક બનશે. બીજેડીના સાંસદો પણ પ્રસ્તાવકોની યાદીમાં સામેલ છે.

આ પહેલાં સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીના ઘેર દ્રૌપદી મુર્મૂના ઉમેદવારી કરવાના કાગળો તૈયાર કરવા માટે વરિષ્ઠ નેતાઓની બેઠક મળી હતી. આ બેઠકમાં પ્રસ્તાવક અને મુર્મૂને સમર્થન આપનારા લોકોની યાદી તૈયારી કરવાની સાથે તેમના હસ્તાક્ષર પણ લેવામાં આવ્યા હતા. ઉમેદવારી દાખલ કર્યા બાદ મુર્મૂ તમામ રાજ્યોનો પ્રવાસ કરશે અને વિવિધ પક્ષોના પ્રમુખો તેમજ વરિષ્ઠ નેતાઓનું સમર્થન મેળવવાની કોશિશ કરશે.

રાષ્ટ્રપતિ પદ માટે 18 જૂલાઈએ મતદાન થવાનું છે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જૂલાઈએ સમાપ્ત થઈ રહ્યો છે. જદયુ અને બીજેડીના સમર્થનની જાહેરાત બાદ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવું લગભગ નક્કી છે.

આદિવાસી સમાજથી આવવાને કારણે યુપીએના અમુક સહયોગી પક્ષો પણ મુર્મૂના સમર્થનમાં આવી શકે છે. યુપીએ દ્વારા યશવંત સિંહાને પોતાના સંયુક્ત ઉમેદવાર જાહેર કરવામાં આવે છે. જો મુર્મૂ જીતી જાય છે તો આદિવાસી સમાજમાંથી આવનાા પહેલાં રાષ્ટ્રપતિની સાથે સાથે તેઓ સૌથી ઓછી વયના રાષ્ટ્રપતિ પણ બનશે. દિલ્હી માટે રવાના થતાં પહેલાં ઓરિસ્સામાં પત્રકારો સાથે વાતચીત કરતાં મુર્મૂએ સૌનો આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે હું તમામ લોકો પાસે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે સહયોગ માંગું છું.

મુર્મૂના પ્રસ્તાવક બન્યા રાજસ્થાનના પાંચ આદિવાસી ધારાસભ્યો
એનડીએ તરફથી રાષ્ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મૂના નામ પર મહોર લાગી છે. પહેલીવાર દેશના રાષ્ટ્રપતિ માટે પસંદ કરાયેલા આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મૂ માટે રાજસ્થાનના પાંચ આદિવાસી ધારાસભ્યો પ્રસ્તાવક બનશે. આ માટે પાંચેય આદિવાસી ધારાસભ્યોને ભાજપે દિલ્હી બોલાવ્યા છે. આ ધારાસભ્યોમાં ઉદયપુર ગ્રામ્ય વિધાનસભાથી ફુલસિંહ મીણા, સલૂમ્બરથી અમૃતલાલ મીણા, ઝાડોલથી બાબૂલાલ ખરાડી, પિંડવાડાથી સમારામ ગરાસિયા અને ગઢીથી કૈલાશ મીણાને પ્રસ્તાવક બનાવવામાં આવ્યા છે.

ઉદયપુરના સાંસદ અર્જુન મીણા પણ પ્રસ્તાવક બનશે. આવું પહેલીવાર બની રહ્યું છે કે કોઈ આદિવાસી રાષ્ટ્રપતિના ઉમેદવાર છે અને તેના માટે પ્રસ્તાવક પણ આદિવાસી ધારાસભ્યો-સાંસદ છે. રાજસ્થાનમાં 25 અને ગુજરાતમાં 27 આદિવાસી બેઠકો છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!