રૂ. 50 હજારની જાલીનોટ સાથે એન્જિનિયરિંગના બે વિદ્યાર્થી ઝડપાયા, સુરતના શખ્સની શોધખોળ
શહેરના કાલાવડ રોડ પરથી પોલીસે એન્જિનિયરિંગના વિદ્યાર્થીને રૂ.50 હજારની જાલીનોટ સાથે ઝડપી લીધા બાદ તેને નોટ સપ્લાય કરનાર ઇજનેરીના જ છાત્ર અને વિસાવદરના શખ્સને પણ પોલીસે ઉઠાવી લીધો હતો, નોટ સાથે ઝડપાયેલા વિદ્યાર્થીએ અન્ય રૂ.50 હજારની નકલી નોટ સુરત રહેતા તેના પિતરાઇને આપી હોય તેને પકડવા પોલીસની એક ટીમ સુરત દોડી ગઇ હતી.
કાલાવડ રોડ પર પ્રેમમંદિરની બાજુમાં બટર ફ્લાય પ્લે હાઉસ પાસે આવેલા મકાનમાં ભાડેથી રહેતા અને ગાર્ડી કોલેજમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતાં કિશન દિનેશ પાંચાણી પાસે રૂ.500ના દરની ભારતીય ચલણની બોગસ નોટ હોવાની માહિતી મળતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.બી.જાડેજા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે કિશનને સકંજામાં લઇ તલાશી લેતા પાસેથી 500ના દરની 100 નંગ નોટ મળી આવી હતી. પોલીસે આગવીઢબે પૂછપરછ કરતા કિશન પાંચાણી ‘પોપટ’ બની ગયો હતો અને તેણે આત્મીય કોલેજમાં બાયોટેક્નોલોજીનો અભ્યાસ કરતાં અને વિસાવદરમાં જૂના બસ સ્ટેશન પાસે રહેતા આવેશ અનવર ભોર પાસેથી ખરીદ કર્યાની કબૂલાત આપી હતી.
શહેર પોલીસની ટીમ વિસાવદર રવાના થઇ હતી અને આવેશને ઝડપી લઇ પૂછપરછ કરતા તેણે સવા વર્ષ પૂર્વે કિશનને રૂ.40 હજારમાં 1 લાખની 500ના દરની નોટ આપ્યાની કબૂલાત આપી હતી અને આ નકલી નોટનો જથ્થો વિસાવદરમાં જ રહેતા હર્ષ રેણુકા પાસેથી મેળવ્યાનું રટણ રટ્યુ હતુ. પોલીસ વિસાવદરમાં હર્ષના ઘરે પહોંચી હતી પરંતુ હર્ષે એકાદ વર્ષ પહેલા જ આપઘાત કરી લીધાનું ખુલ્યું હતું.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કિશને રૂ.50 હજારની નકલી નોટ સુરત રહેતા તેના પિતરાઇ સંજય હરેશ પાંચાણીને આપી હતી અને પોતાની પાસે રહેલી નકલી નોટ વટાવવા જતાં ઝડપાઇ જશે તેવો ભય લાગતા રાખી મુકી હતી, જોકે કિશનની આ વાત પોલીસને ગળે ઉતરતી નહોતી, કિશન અને આવેશ સહિતનાઓએ અત્યાર સુધીમાં કેટલી નોટ બજારમાં વહેતી મૂકી હતી, અન્ય કોઇને આપી હતી કે કેમ તે સહિતના મુદ્દે તપાસ કરવા પોલીસે આરોપીઓને રિમાન્ડ પર લેવાની તજવીજ શરૂ કરી હતી.
મૃતક પુત્રે જાલીનોટનો ધંધો કર્યાનું જાણી પરિવારજનો સ્તબ્ધ
વિસાવદરના આવેશને પોલીસે ઝડપીને પૂછપરછ કરતા તેણે વિસાવદરના જ હર્ષ રેણુકા પાસેથી નકલી નોટનો જથ્થો મેળવ્યાની કબૂલાત આપતા પોલીસની ટીમ હર્ષના ઘરે પહોંચી હતી, હર્ષે એકાદ વર્ષ પહેલા આપઘાત કર્યો હતો, હર્ષના પરિવાર સમક્ષ પોલીસે સમગ્ર ઘટના કહેતા તેઓ સ્તબ્ધ થઇ ગયા હતા, તેમણે નિ:સાસા સાથે કહ્યું હતું કે, હર્ષને કેટલાક એવા શખ્સો સાથે મિત્રતા થઇ હતી કે તે અવડે પાટે ચડી ગયો હતો, જોકે હર્ષે નકલી નોટનો ધંધો કર્યા અંગે અજાણ હોવાનું પરિવારજનોએ કહ્યું હતું.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!
